અમદાવાદ: છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ગુરુવારે વહેલી સવારે શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને પાર્કિંગમાં વાહનો ડૂબી જવાની સ્થિતિ સર્જાઈ હતી.
ચાંદખેડામાં 2 ઇંચ જ્યારે ગોતા, મેમ્કો, નરોડા અને એરપોર્ટ વિસ્તારમાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. ત્રાગડ રોડ, IOC રોડ અને ડી-કેબીન રોડ સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો હતો.
ભારે વરસાદ બાદ બંધ કરાયેલા 17 અંડરબ્રિજમાંથી 9 ફરી શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે મકરબા, પરિમલ, અખબારનગર, મણિનગર, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ GST અને ચાંદખેડા સહિતના 8 અંડરબ્રિજ હજુ પણ બંધ છે.
ખોખરા જાડેજા કોર્નર પાસે પાણીમાં ફસાયેલી બસમાંથી ફાયર બ્રિગેડે 55 મુસાફીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં 1,000થી વધુ રહેવાસીઓ પાણીથી પ્રભાવિત થયા છે, જ્યારે શેલા વિસ્તારમાં એક રહેણાંક સ્કીમના પાર્કિંગમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં અંદાજે 38 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. રાજ્યમાં NDRF, SDRF અને સેના દ્વારા બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.
Author: United Times
DAILY NEWS









