મચ્છુ-2ના 4 દરવાજા 7 ફૂટ ખોલી 18,578 ક્યુસેક પાણી છોડાયું, 29 ગામોને એલર્ટ
મોરબી: જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદ બાદ મોરબી અને માળિયા માટે જીવનદાયી ગણાતા મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં શનિવારે સવારે 6 વાગ્યે ઓવરફ્લો થયો હતો. સિંચાઈ વિભાગે ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલી 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવાનું શરૂ કર્યું છે.
ડેમમાંથી પાણી છોડતા પહેલાં મોરબી શહેર ઉપરાંત મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે નદીના પટમાં અવરજવર ન કરવા અને માલધારીઓને પશુઓ સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે.
માત્ર 24 કલાકમાં મચ્છુ-2 ડેમમાં અંદાજે 60 ટકા જેટલો નવો જળજથ્થો આવતા ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા 3104 એમસીએફટી સુધી પહોંચી ગયો હતો.
બીજી તરફ, મચ્છુ-3 ડેમ પણ 100 ટકા ભરાઈ જતા તેના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડતા પહેલાં મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત મોરબી તાલુકાના જિકિયારી પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ પણ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં તેના 2 દરવાજા 3 ફૂટ સુધી ખોલીને 7,182 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પગલે મોરબી અને માળિયા તાલુકાના 10 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લામાં સતત વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક યથાવત રહેતા સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Author: United Times
DAILY NEWS









