ગ્રાહકદીઠ 3 કિલાને બદલે હવે માત્ર 1 કિલો ચોખા મળશે; તહેવારો પહેલાં અનાજના જથ્થામાં ઘટાડાથી પરિવારોમાં નારાજગી
ગાંધીનગર: ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર મહિનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રાશનકાર્ડ ગ્રાહકોને આપવામાં આવતા ચોખાના માસિક જથ્થામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ગ્રાહકદીઠ 3 કિલો ચોખા આપવામાં આવતા હતા, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં તેમાં 2 કિલોનો ઘટાડો કરીને હવે માત્ર 1 કિલો ચોખા ફાળવવામાં આવશે.
તહેવારોની સીઝન શરૂ થવા પહેલાં જ રાશનના જથ્થામાં ઘટાડો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મોંઘવારી વચ્ચે અનાજનો જથ્થો ઘટવાથી ઘરનું બજેટ ખોરવાઈ શકે તેવી ચિંતા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
નિર્ણય પુરવઠા વિભાગનો: ફેરપ્રાઈઝ એસોસિએશન
ગુજરાત ફેરપ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે ચોખાના જથ્થામાં ઘટાડાનો નિર્ણય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે ગ્રાહકોને વાજબી ભાવની દુકાનદારો સાથે કોઈ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરી છે.
મોંઘવારી વચ્ચે પરિવારોની મુશ્કેલી વધશે
રાશનના જથ્થામાં ઘટાડાને કારણે સામાન્ય પરિવારોની મુશ્કેલી વધવાની શક્યતા છે. લોકોનું કહેવું છે કે પહેલેથી જ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અચાનક ચોખાનો જથ્થો 3 કિલોથી ઘટાડી 1 કિલો કરાતા દૈનિક ખોરાક અને પરિવારના બજેટ પર તેની સીધી અસર પડશે.