વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વડોદરાથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના બાકી રહેલા ત્રણ મહત્વના સેક્શનનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે ઉત્તર ભારતથી મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ પોર્ટ (JNPT) સુધી ઝડપી અને સીધી માલવાહક રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ બની છે.
ન્યૂ સાણંદ–ન્યૂ મકરપુરા, ન્યૂ અંબારગાંવ–ન્યૂ સફાલે અને ન્યૂ સફાલે–ન્યૂ JNPT એમ કુલ 326 કિ.મી.ના સેક્શનનું લોકાર્પણ થયું છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ.20,700 કરોડથી વધુનું રોકાણ થયું છે.
લગભગ 1,506 કિ.મી. લાંબો WDFC દાદરીથી JNPT સુધી ફેલાયેલો છે અને પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે. દિલ્હી-NCRથી JNPT સુધી માલ પહોંચાડવાનો સમય અગાઉ 3થી 4 દિવસ હતો, જે હવે આશરે 24 કલાક થઈ શકે છે.
ઓગસ્ટ 2026 સુધી DFC પર આશરે 5.2 લાખ માલગાડીઓ દોડી ચૂકી છે. કોરિડોરના કારણે મુખ્ય રેલ માર્ગો પર માલગાડીઓનો ભાર ઘટશે, જેના પગલે પેસેન્જર ટ્રેનો માટે ક્ષમતા વધશે. સાથે લોજિસ્ટિક્સ ખર્ચ, ટ્રાફિક અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની પણ અપેક્ષા છે.