અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને 17થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર જિલ્લામાં પદયાત્રીઓની આરોગ્ય સુરક્ષા માટે મુખ્ય રૂટ પર 11 આરોગ્ય કેમ્પ શરૂ કરાશે. કેમ્પોમાં 24 કલાક ડોક્ટરો અને તબીબી ટીમો જરૂરી દવાઓ સાથે હાજર રહેશે.
પદયાત્રીઓમાં થાક, પગમાં ફોલ્લા, સ્નાયુઓનો દુખાવો, ડીહાઇડ્રેશન અને એસિડિટી જેવી સમસ્યાઓ માટે મસાજ, પેઇન રિલીવર સ્પ્રે, મલમપટ્ટી, ORS અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
108 એમ્બ્યુલન્સની ટીમો પણ એલર્ટ રાખવામાં આવી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને કેમ્પોની આસપાસ મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ અને દવાનો છંટકાવ પણ કરવામાં આવશે.
આરોગ્ય કેમ્પો ઉવારસદના દિવ્ય ફાર્મ, મોટા ચિલોડા, ગિચોડ અંબાજી મંદિર, વાસણ મહાદેવ, જેઠીપુરા પાટીયા, ભાડોલની ઉમીયા વાડી, બાલવા નજીક ટહુક હોટલ, ઘેઘુ ચોકડી, બોરૂ ચોકડી પાસે કેદાર હોટલ, નીત્યાનંદ કોટન ઇન્ડસ્ટ્રીઝ અને હિંમતપુરા ચોકડી ખાતે કાર્યરત રહેશે.