રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રણ દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. ગઈકાલથી અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને આજે સવારથી સુર્યદેવતાએ દર્શન દેતાં વાતાવરણ સ્વચ્છ બન્યું હતું. જોકે જામનગર જિલ્લાના કેટલાક તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા.
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર તાલુકામાં 1થી 9 મિમી સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરમાં 9 મિમી, જોડિયામાં 6 મિમી, ધ્રોલમાં 2 મિમી અને કાલાવડમાં 1 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે લાલપુર અને જામજોધપુરમાં વરસાદે વિરામ લીધો હતો.
વરસાદે વિરામ લેતાં વરાપ નીકળ્યો છે અને ખેડૂતોએ વાડી-ખેતરોમાં ખેતીકામ શરૂ કરી દીધું છે. જિલ્લા કલેક્ટર કંટ્રોલરૂમના આંકડા મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો.
મોસમનો કુલ વરસાદ:
જામનગર: 322 મિમી
જોડિયા: 307 મિમી
ધ્રોલ: 329 મિમી
કાલાવડ: 269 મિમી
લાલપુર: 183 મિમી
જામજોધપુર: 370 મિમી
આંકડા મુજબ જામજોધપુરમાં સૌથી વધુ 370 મિમી, જ્યારે લાલપુરમાં સૌથી ઓછો 183 મિમી વરસાદ નોંધાયો છે.